શહેરમાં દિન પ્રતિદિન રોડ ઉપર લારી-ગલ્લાના દબાણ અને વાહનોના બેફામ પાર્કિંગના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. શહેરના લો ગાર્ડન પાસે GLS કોલેજ વિસ્તારમાં રોડ ગેરકાયદેસર ખાણીપીણીની લારીઓની લાઈનો લાગેલી હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. નાગરિકો દ્વારા અવારનવાર આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. તેમ છતાં પણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવતા નથી.
GLS કોલેજની બહારના ભાગે રોડ ઉપર 10થી વધુ સેન્ડવીચ મેગીની અને અન્ય ખાણીપીણીની લારીઓ તથા પાથરણાં વાળા ઊભા રહે છે. ખાણીપીણીની લારીઓ ઉપર ખાવા આવતા લોકો કે ખરીદી કરવા આવતા લોકો રોડ ઉપર જ ગાડી અને બાઈક પાર્ક કરી ખાવા બેસી જાય છે અને ખરીદી કરવા જતા હોય છે. જેના કારણે ત્યાંથી વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડતી હોય છે. કાયદેસર કોઈપણ ખાણીપીણી બજાર અથવા તો લારીઓ ઉભા રાખવા માટેની પરમિશન ન હોવા છતાં પણ લારીઓ ઉભી રહે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. રોડ ઉપર બહારના ભાગે પટ્ટામાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પાર્ક કરવામાં આવેલી છે. તેની આગળ જ લારીઓ ઊભી રહે છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને દેખાતી નથી.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગને રોડ ઉપર થતા દબાણને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવે છે અને એસ્ટેટ વિભાગ કમિશનરને પણ રોડ પરથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાય છે એવું કહે છે. જોકે, રોડ પરથી દબાણો દૂર કરવામાં એસ્ટેટ વિભાગને રસ ન હોય તેમ લાગી રહ્યુ છે. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દબાણમુક્ત રોડ કરવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓને સૂચના આપે છે. પરંતુ આવા અધિકારીઓ અને કર્મચારીઓને સૌથી વધુ ખાણીપીણીની લારીઓ રોડ ઉપર ઉભી હોય અને ટ્રાફિક થતો હોય ત્યાં ખબર હોવા છતાં પણ આંખ આડા કાન કરવામાં આવે છે અને મહત્વની વાત તો એ સામે આવી રહી છે કે જ્યારે અહીં કોઈ ઉચ્ચ અધિકારીઓ વીઝીટ માં નીકળવાના હોય કે એવી કોઈ માહિતી હોય તો એસ્ટેટ ખાતાના જ ચંદ અધિકારીઓ જેને મસ્ત હપ્તા મળતા હોય છે તેવા અધિકારીઓ પહેલે થી જ જાણ કરી દે છે કે આજે અહી થી લારીઓ ને બધું લઈ લેજો અધિકારીઓ રાઉન્ડ માં નીકળવાના છે જેથી લારીઓ હટી જાય છે અને ઉચ્ચ અધિકારીઓને રોડ ખુલ્લો જોવા મળે છે જે બાદ અધિકારીઓ નીકળી જાય એટલે આ જ લારીઓ પાછી લાગી જાય છે.જો આ બાબતને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા અધિકારીઓ નાં ફોન ચેક કરવામાં આવે કે કોલ લીસ્ટ કાઢી વિજિલન્સ તપાસ કરવામાં આવે તો મસ મોટું કૌભાંડ એસ્ટેટ ખાતાના અધિકારીઓનું બહાર આવે તેમ છે.