ગુજરાતમાં કેટલાક લોકોએ સર્જરી બાદ આંખોની રોશની ગુમાવવાની ફરિયાદ કરી છે. આ કિસ્સો પાટણ જિલ્લાની એક હોસ્પિટલમાં સામે આવી રહ્યો છે જ્યાં 7 દર્દીઓએ તેમની આંખોની રોશની ગુમાવી હોવાનો દાવો કર્યો છે. આ તમામ લોકોએ મોતિયાની સર્જરી કરાવી હતી. દર્દીઓની ફરિયાદ બાદ અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. હોસ્પિટલનું કહેવું છે કે કેટલાક ઈન્ફેક્શનના કારણે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ 2 ફેબ્રુઆરીએ રાધનપુર શહેરની સર્વોદય આંખની હોસ્પિટલમાં કુલ 13 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. સર્વોદય આંખની હોસ્પિટલના ટ્રસ્ટી ભારતી વખારિયાએ જણાવ્યું હતું કે સાત દર્દીઓમાંથી પાંચને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં M&J ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપ્થેલ્મોલોજીમાં અને બેને મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તપાસ માટે એક સમિતિની રચના કરી છે. “કોઈપણ બેદરકારી માટે દોષિત જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે,” તેમણે કહ્યું. રાજ્યમાં એક મહિનાના ગાળામાં આ બીજી ઘટના હતી.
17 વૃદ્ધોએ આંખોની રોશની ગુમાવી દીધી હતી
10 જાન્યુઆરીના રોજ, અમદાવાદ જિલ્લાના માંડલ ગામમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મોતિયાની શસ્ત્રક્રિયા બાદ ચેપને કારણે 17 વૃદ્ધોએ તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. પાટણ જિલ્લાના કિસ્સામાં, હોસ્પિટલના ટ્રસ્ટી વખારિયાએ જણાવ્યું હતું કે મોતિયાના ઓપરેશન કરાવનારા 13 દર્દીઓમાંથી સાત ત્રણ દિવસ પછી પાછા ફર્યા કારણ કે તેમને આંખમાં ચેપ લાગ્યો હતો.
“અમારા ઓપરેશન થિયેટરનો કલ્ચર રિપોર્ટ નોર્મલ હતો, જે સાબિત કરે છે કે અમારા તરફથી કોઈ ખામી નથી. સરકારી ડોકટરોની એક ટીમે અમારી હોસ્પિટલની મુલાકાત લીધી અને વધુ તપાસ માટે સેમ્પલ એકત્રિત કર્યા,” તેમણે કહ્યું. અમદાવાદની આંખની હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા અનુસાર, ત્યાં દાખલ પાંચ દર્દીઓની દ્રષ્ટિ ઝાંખી છે અને તેઓ માત્ર હાથની હિલચાલ પારખી શકે છે.