(સ્ટેફી કનુરિયા): લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે અને રાજકીય પક્ષોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ શરૂ થઈ ગયું છે.
આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા ગતતા. 12 માર્ચના રોજ ગુજરાતમાં 7 લોકસભા સીટો માટે ઉમેદવારની યાદી જાહેર કરી હતી તે પૈકીનું એક નામ રોહન ગુપ્તાનું પણ હતુ જેઓએ હવે પોતાની ઉમેદવારી પરત ખેંચી કોંગ્રેસ વતી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દેતા રાજકીય માહોલ ગરમાયો છે કારણકે કોંગ્રેસના જુના જોગીઓ એક પછી એક વિખાઈ રહયા હોય હવે ગુજરાત કોંગ્રેસ છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે.
મહત્વનું છે કે રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના હતા પણ હવે તેઓએ ઉમેદવારી પરત ખેંચવા સાથે ચૂંટણી લડવાનો સાફ ઇન્કાર કરી દીધો છે.
રોહન ગુપ્તાએ ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે ટ્વીટ કર્યું છે.
અમદાવાદ પૂર્વ બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તા હવે ચૂંટણી નહીં લડે. તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, “મારા પિતાની અત્યંત ગંભીર સ્વાસ્થ્ય પરિસ્થિતિને કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારુ નામ પાછું ખેંચું છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસમર્થ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર આપીશ.”
●રોહન ગુપ્તાએ અચાનક આ નિર્ણય લીધો? રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક
જોકે,સતત વિવાદોમાં રહેલા રોહન ગુપ્તાના આ નિર્ણયથી રાજકીય માહોલ ગરમાયો છે અને અનેક અટકળો ઉઠવા પામી છે અને આ નિર્ણય પાછળ પિતાજીની નાદુરસ્ત તબિયત સિવાય અન્ય કોઈ પરિબળ છે કે કેમ? તે અંગે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
આપને જણાવી દઈએ કે તા.20 જૂન 2022ના રોજ રોહન ગુપ્તા રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા બન્યા.
આ પહેલાં તેઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન રહી ચૂક્યા છે.
સાથે સાથે કોંગ્રેસ સાથે જૂનો નાતો ધરાવતા ગુજરાતના પૂર્વ સંસદીય સચિવ અને કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય તથા કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ પણ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે.
રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચીના પદે પણ રહી ચૂક્યા છે.
●ભાજપના નેતા અજય પટેલ અને પીઢ કોંગ્રેસી પરિવાર રોહન ગુપ્તાના શુ હતા બિઝનેસ રિલેશન કે જેનો ભારે હોબાળો મચ્યો હતો
રોહન ગુપ્તાનો પરિવાર વર્ષોથી ચુસ્ત કોંગ્રેસી રહ્યો હોવાછતાં રોહન ગુપ્તાનો ભાઈ અર્પણ અને પત્ની યોગિતા એક સનબર્ડ્સ ઈન્ફ્રાબિલ્ડ એલએલપીના બોર્ડમાં હતા જેમાં ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન અને ભાજપના નેતા અજય પટેલની પત્ની દેવાંગના ડિરેક્ટર હોવાના અહેવાલોએ જેતે સમયે ભારે હોબાળો મચાવ્યો હતો.
અને આ બધા વચ્ચે તે સમયે જ્યારે ભાજપના અજય પટેલે રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો ત્યારે કોંગ્રેસ નેતા રોહન ગુપ્તા અને અજય પટેલના પરિવારના બિઝનેસ પાર્ટનરની હકીકત સામે આવતા કોંગ્રેસની ટોચની નેતાગીરી પણ ચોંકી ગઈ હતી.
રોહન ગુપ્તાના ભાજપ નેતા અજય પટેલ વચ્ચેના બિઝનેસ રિલેશન સામે આવ્યા બાદ મચેલા હોબાળાથી રોહનની પત્ની અને ભાઈએ કંપનીમાંથી ચૂપચાપ રાજીનામું આપી દીધું હોવાની વાત સામે આવી હતી પણ આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને ગુજરાત કોંગ્રેેસના નેતા ભાજપના નેતાઓ સાથે આ વ્યાપારી વ્યવહારે ભારે વિવાદ ઉભો કર્યો હતો.
હવે,ફરી એક વખત કે જ્યારે લોકસભાની ચૂંટણીઓ સામે છે અને કોંગ્રેસીઓ એક પછી ભાજપમાં જોડાઈ રહયા છે ત્યારે કોંગ્રેસની યાદીમાં સ્થાન પામેલા રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દેતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.12 માર્ચે કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતની સાત લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં બનાસકાંઠાથી ગેબીબેન ઠાકોર, પોરબંદરથી લલીત વસોયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નિતેષ લાલને ટિકિટ આપવામાં આવી હતી.
આ પૈકી અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવા કોંગ્રેસે જાહેર કરેલા રોહન ગુપ્તાએ પોતાના પિતાની દુરસ્ત તબિયતનું કારણ આપી ઉમેદવારી પરત ખેંચી લેતા ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ભૂતકાળની વિવાદિત વાતો સપાટી ઉપર આવી છે અને અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.