ગુજરાતમાં લોકસભા ચૂંટણીઓ નજીક છે અને ભાજપ તમામ 26 બેઠકો જીતવાનો દાવો કરી દીધો છે તેવે સમયે ભાજપમાં પણ ભડકો થયો છે અને વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપી દેતા ભાજપ છાવણીમાં ભારે દોડધામ મચી છે.
મળતા અહેવાલો મુજબ કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામું ઇમેલ કર્યા બાદ તેમના સમર્થનમાં સાવલી તાલુકાના 15 જેટલા સરપંચોએ રાજીનામાં આપી દીધા હોવાના અહેવાલ છે.
એટલુંજ નહિ પણ તાલુકા પંચાયતના સભ્યો,યુવા મોરચો,સહિત અગ્રણી હોદ્દેદારો પદ પરથી રાજીનામાનો સિલસિલો શરૂ થયો છે અને વધુ કાર્યકરો રાજીનામા આપે તેવી સ્થિતિ ઉભી થતા ભાજપના આગેવાનો દોડતા થઈ ગયા છે.
જોકે,કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર સિંહ ચૌધરીને ઇમેલથી રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે. ખરેખરતો નિયમ મુજબ ધારાસભ્ય જ્યાં સુધી વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ મળીને રાજીનામું ન સોંપે ત્યાં સુધી તે માન્ય ગણાતું નથી તેથી વાટાઘાટો થવાની શક્યતાઓ પણ છે. કેતન ઇનામદાર ત્રણ વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પ્રથમ વાર 2012માં અપક્ષ તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી અને જીત્યા હતા. ત્યારબાદ 2017 અને 2022માં ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટણી લડી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. સહકારી ક્ષેત્રે પણ તેઓ ખૂબ વર્ચસ્વ ધરાવે છે.
ગુજરાત પ્રદેશ ભાજપમાંથી રાજીનામું આપનાર કેતન ઇનામદાર પ્રથમ ધારસભ્ય છે અને વડોદરા એપી સેન્ટર બન્યું છે.
વડોદરા ભાજપના નેતાઓમાં જૂથવાદ સામે આવી રહ્યો છે.
ભાજપે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપીટ કરતા નારાજગી જોવા મળી છે અને રંજનબેનને ટિકિટ આપ્યાના બીજા જ દિવસે ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો.
જેને પગલે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. આમ છતાં જ્યોતિબેન મક્કમ રહીને નારાજગી વ્યક્ત કરતા રહ્યા હતા. આ ઘટનાક્રમ વચ્ચે અચાનક જ 19 માર્ચની સવારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલી દીધું છે પરિણામે વડોદરા ભાજપમાં રહેલો જૂથવાદ સપાટી પર આવી ગયો છે.
આમ,ગુજરાતમાં ભાજપમાં પણ લોકસભાની ચૂંટણીઓ અગાઉ વડોદરાથી જૂથવાદ સામે આવ્યો છે અને મોટાપાયે રાજીનામાં પડે તેવી વાતો વચ્ચે ગાંધીનગર થી મુખ્યમંત્રી અને સીઆર પાટીલનું તેડુ આવતા કેતન ઇમાનદાર ગાંધીનગર જવા રવાના થયા હોવાના અહેવાલ છે.