શહેરના બોપલ ઘુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં ફાયર વિભાગના કર્મચારીએ હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે પરિવારે મૃતક અનિલ પરમારના પત્નીને વારસદાર તરીકે નોકરી અને વળતર આપવાની માગ કરી હતી. જે બાદ ફાયર વિભાગે આ મૃતકની પત્નીને નોકરી આપશે તેમ જણાવાયુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સવારે બોપલ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, બોપલ-ઘુમા રોડ ઉપર દેવ રેસિડેન્સી પાસે હાઈ ટેન્શન વાયરની લાઈન પર એક પક્ષી ફસાઈ ગયું છે. જેથી બોપલ ફાયર સ્ટેશનના કર્મચારી અનિલ પરમાર તેમના સ્ટાફની સાથે બોર્ડ રેસક્યુ કોલ એટેન્ડ કરવા માટે ત્યાં પહોંચી પક્ષીને ઉતારવા માટે ચડ્યા હતા તે દરમિયાન તેમનો હાથ હાઈ ટેન્શન વાયરને અડી જતા તેઓ ત્યાં જ ચોંટી ગયા હતા. તરત જ તેઓ ભડભડ સળગી ઊઠ્યા હતા. હાઈ ટેન્શન વાયરને અડી જતા તાત્કાલિક તેમના સ્ટાફ દ્વારા તેમને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓને બચાવી શક્યા નહોતા. ઘટના મામલે તાત્કાલિક ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમ જ અધિકારીઓને જાણ કરાતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કોઈપણ બોર્ડ રેસ્ક્યૂ કોલ કરવા માટે જાય છે ત્યારે હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કરીને કામગીરી કરવાની હોય છે, પરંતુ કેવી રીતે આ સમગ્ર ઘટના બની તે મામલે તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા હતા. કોની સૂચનાથી હાઈ ટેન્શન લાઈન બંધ કર્યા વિના આ કામગીરી કરાઈ હતી વગેરે અંગે તપાસ શરૂ કરી હતી.
આ ઘટના બાદ મૃતક કર્મચારીના પરિવારજનો પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. મૃતકના પિતાએ કહ્યું કે, અનિલ ઘરમાં કમાવનાર એક માત્ર વ્યક્તિ હતો, પત્ની, સહિત બધા ઘરમાં તેના વિના નિરાધાર થઈ ગયા છે. મૃતકના પિતાએ કર્મચારીની પત્નીને સરકારી નોકરીમળે તેવી માંગ કરી છે, અને જો નોકરી નહીં આપવામાં આવે તો, દાણીલીમડા કોર્પોરશનની મુખ્ય ઓફિસેથી લાસ લઈ જઈ અંતિમ સંસ્કાર નહીં કરીએ.