તંત્રી : સ્ટેફી કુનુરિયા: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં વૃદ્ધ દંપતિને પોતાનીજ પુત્રવધુ દ્વારા ઘર બહાર કાઢી મુકવામાં આવે છે,કાતિલ ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે રહેવા મજબુર બનેલા આ સિનિયર સિટીઝન દંપતિ ન્યાય માટે રીતસર હવાતિયાં મારી રહ્યું છે અને નવાઈની અને ચોંકાવનારી વાતતો એ છે કે સેટેલાઇટ પોલીસે આ પ્રકરણમાં કોઈ ખાસ રસ નહિ લઈ કાર્યવાહી નહિ કરતા પોલીસ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
આ દંપતિ કેનેડાથી 18 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચ્યું હતું અને સેટેલાઇટ વિસ્તારમાં આવેલા અશોકનગર સ્થિત
પોતાના મકાનમાં જ્યારે પહોંચ્યું ત્યારે તેઓને તેમની પુત્રવધૂએ ઘરમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને રીતસર ત્યાંથી કાઢી મુકતા આ દંપતિ રોડ ઉપર રહેવા મજબુર બન્યું હતુ આ કરુણ ઘટના આસપાસના લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
આ બધા વચ્ચે વૃદ્ધ દંપતિનો પુત્ર દર્શન ગાંધી કે જે હાલ કેનેડામાં છે તેનો ‘મદદ’ માટેનો એક પત્ર પણ વાયરલ થયો છે જેમાં જણાવાયા મુજબ દર્શને લેખિતમાં જણાવ્યું છે કે તેના લગ્ન નિધિ નામની યુવતી સાથે 2021માં એક મેરેજ એપના માધ્યમથી થયા હતા અને તેઓ માત્ર પાંચ દિવસ સાથે રહયા હતા ત્યારબાદ તે (દર્શન)કેનેડા પરત જતો રહેતા નિધિએ પોતાના માતાપિતાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું અને પોતાના ઉપર અને માતાપિતા ઉપર ખોટા કેસ કર્યા હોવાનો આક્ષેપ કરી જણાવ્યું કે તે મામલો નામદાર હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
દરમિયાન દર્શનના માતાપિતા પણ કેનેડા આવી ગયા હતા.
જોકે,હવે જ્યારે તેઓના માતાપિતા 18 જાન્યુઆરીના રોજ અમદાવાદ આવ્યા ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં આવેલા અશોકનગરમાં તેમને પોતાના મકાનમાં પ્રવેશવા નહિ દેતા આ બાબતે તેઓએ મદદ માટે સેટેલાઇટ પોલીસને વારંવાર જાણ કરવા છતાં પોલીસે કોઈ મદદ કે કાર્યવાહી નહિ કરતા આ વૃદ્ધ દંપતિ રોડ ઉપર રહેવા મજબુર બન્યું હતું.
પત્રમાં એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે ‘જો મારા માતાપિતાને કંઇપણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નિધિ ગાંધી અને મળતીયા તેમજ સેટેલાઇટ પોલીસની રહેશે!’
દર્શન ગાંધીના નામથી લખાયેલા પત્રમાં એક ચોંકાવનારો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે જેમાં પોતાની પત્ની દ્વારા પૈસા પડાવવાના કેટલાક ગોરખધંધા થઈ રહ્યા છે જેની સાયબર ક્રાઈમ દ્વારા તપાસ થાય તો મોટા કાંડ બહાર આવી શકે તેમ હોવાનું જણાવાયું છે.
અલબત્ત પોતાની માતૃશ્રીના નામે મકાન હોવાછતાં તે મકાનમાં પ્રવેશતા અટકાવી ગુનો કરવામાં આવ્યો હોવાછતાં કોઈ કાર્યવાહી નહિ થતા અનેક સવાલ ઉભા થયા છે.
આ પ્રકરણમાં સેટેલાઇટ પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે સવાલ ઉઠાવવામાં આવી રહયા છે ત્યારે આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને સિનિયર સીટીઝન માટેના કાયદાઓ અને તેઓના રક્ષણની જોગવાઈના લિરા ઉડતા અમદાવાદમાં રસ્તા ઉપર રઝળી રહેલું દાંપતિ ન્યાયની માંગ કરી રહ્યું છે ત્યારે હવે ઉપરી અધિકારીઓ, એનજીઓ,જનતાના સેવકો પાસે દંપતિ ન્યાય માટે મદદ માંગી રહ્યું છે.
‘જનતાની જમાવટ’અખબારે માનવતાનો ધર્મ નિભાવી આ પ્રકરણને જનતા સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે હવે તંત્ર તરફથી આ નિરાધાર દંપતીને શુ ન્યાય મળે છે તે જોવું રહ્યું.