ICC એ મંગળવારે એટલે કે 27 જૂને ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. મેગા ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ટાઇટલ મેચ 19 નવેમ્બરે રમાશે. આવી સ્થિતિમાં આઈસીસીએ વર્લ્ડ કપની કઈ મેચો માટે રિઝર્વ ડે વિશે પણ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023 ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવાનો છે. આ બે મહિનામાં વરસાદની શક્યતા ઘણી ઓછી છે, પરંતુ હજુ પણ ટુર્નામેન્ટની ત્રણ મોટી અને મહત્વપૂર્ણ મેચો માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે.
ICCની પ્રેસ રિલીઝ મુજબ, વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બર બુધવારે મુંબઈમાં અને બીજી સેમિફાઇનલ બીજા દિવસે કોલકાતામાં યોજાશે. બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે રહેશે.
જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને 20 નવેમ્બરને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. ત્રણેય નોક-આઉટ મેચો દિવસ-રાતની મેચ હશે જે IST બપોરે 2 વાગ્યે શરૂ થશે.
વાસ્તવમાં, ICC એ સ્પષ્ટ કર્યું છે કે પ્રથમ સેમિફાઇનલ મુંબઈમાં અને બીજી કોલકાતામાં રમાશે. પરંતુ જો ભારત અને પાકિસ્તાન નોકઆઉટ સ્ટેજમાં પહોંચે છે તો ICC એ પણ જાહેરાત કરી છે કે તેઓ ક્યાં રમશે.
ICCએ કહ્યું કે જો ભારતની ટીમ સેમીફાઈનલમાં પહોંચે છે તો તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેની મેચ રમશે, જ્યારે પાકિસ્તાનની ટીમ ક્વોલિફાય થશે તો તેની મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં યોજાશે. બીજી તરફ સેમીફાઈનલમાં બંને ટીમો સામસામે ટકરાશે તો આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે.