શેર બજારમાં સેન્સેક્સમાં ઘટાડાનો સિલસીલો યથાવત રહ્યો હતો. ત્યારે ત્રીજા દિવસે પણ વેપારનાં દિવસે બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ તેમજ નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ પર નિરાશા જનક શરૂઆત થયા બાદ અચાનક ઘટાડો નોંધાયો હતો. બે કલાક દરમ્યાન સેન્સેક્સ 600 થી વધુ જ્યારે નિફ્ટી 200 થી વધુનો ઘટાડો નોંધાયો હતો.
મંગળવારે સેન્સેક્સમાં અચાનક 600 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. BSE સેન્સેક્સ 73,973 ના સ્તરે મામૂલી વધારા સાથે ખુલ્યો હતો. પરંતુ થોડા સમય પછી તેનો ટ્રેન્ડ બદલાઈ ગયો અને ઉછાળો અચાનક પતનમાં ફેરવાઈ ગયો. આટલું જ નહીં, આ ઘટાડો સતત વેગ પકડતો રહ્યો. સોમવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE ઈન્ડેક્સ 73,895.54 ના સ્તર પર બંધ થયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી સેન્સેક્સ 611.49 પોઈન્ટ અથવા 83 ટકાના ઘટાડા સાથે 73,284.05 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
સેન્સેક્સની જેમ NSE નિફ્ટી પણ ખરાબ રીતે ટ્રેડ થઈ રહ્યો હતો. NSE નિફ્ટી તેના અગાઉના બંધ 22,442.70 ના સ્તરથી વધીને 22,489.75 ના સ્તરે ખુલ્યો હતો. પરંતુ, પછી તેમાં ઘટાડો શરૂ થયો અને તે 22,232.05 ના સ્તર સુધી તૂટી ગયો. સમાચાર લખાય છે ત્યાં સુધી, સવારે 11.45 વાગ્યા સુધી, તે 200 પોઇન્ટ અથવા 89 ટકાના ઘટાડા પછી 22,242.05 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.
જો આપણે શેરબજારમાં ઘટાડા માટેના કારણોની વાત કરીએ તો માર્કેટમાં ઘટાડા પાછળ પ્રોફિટ બુકિંગની મોટી ભૂમિકા રહી છે. આ ઉપરાંત, છેલ્લા કેટલાક દિવસોમાં, ઘણી મોટી કંપનીઓએ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે અને તેમાંથી ઘણી શેરબજારમાં સારી રહી નથી. જેમાં ટાટા ગ્રુપની ટાઇટન કંપની જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. ચોથા ક્વાર્ટરના પરિણામો બાદ તેના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.